Bible Language

Hebrews 4:7 (GUV) Gujarati Old BSI Version

1 માટે આપણે બીવું જોઈએ, રખેને તેમના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજૂદ રહ્યા છતાં તમારામાંનો કોઈ કદાચ પાછળ પડેલો માલૂમ પડે.
2 કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ, કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહિ.
3 આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ. જેમ તેમણે કહ્યું છે, “મેં મારા ક્રોધમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.” જોકે જગતના આરંભથી કામો પૂરાં થયેલાં હતાં.
4 કેમ કે એક ઠેકાણે તેમણે સાતમા દિવસ વિષે કહ્યું છે, “સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી નિવૃત્ત થઈને વિશ્રામ લીધો.”
5 અને વળી ઠેકાણે તે કહે છે. “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
6 તો કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે, અને જેઓને અગાઉ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી, તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શકયા નહિ.
7 માટે એટલી બધી વાર પછી ફરીથી ચોકકસ દિવસ ઠરાવીને, જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ, તે દાઉદદ્વારા કહે છે, “આજે, આજે જો તમે તેમની વાણી સાંભળો, તો તમે તમારાં હ્રદય કઠણ કરો નહિ.”
8 કેમ કે જો યહોશુઆએ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત, તો ત્યાર પછી ઈશ્વર બીજા દિવસ સંબંધી કહેત.
9 માટે ઈશ્વરના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે.
10 કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં કામો થી વિશ્રામ લીધો, તેમ ઈશ્વસ્ના તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.
11 માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ, રખેને ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય.
12 કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે,
13 તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.
14 તો આકાશમાં લઈને જે પાર ગયેલા છે, એવા મોટા પ્રમુખયાજક, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ આપણને છે, માટે આપણે જે માની લીધું છે તે દઢતાથી પકડી રાખીએ;
15 કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહિ એવા નહિ, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખયાજક છે.
16 માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.