1 હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો, તમે કાન દો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળે!
2 કેમ કે સર્વ પ્રજાઓ પર ને તેનાં સર્વ સૈન્યો પર યહોવાને ક્રોધ ચઢયો છે; પ્રભુએ તેઓને વિનાશ પામવા નિર્માણ કર્યાં છે, તેઓને સંહારને આધીન કર્યાં છે.
3 તેમનાં મારી નંખાયેલાં નાખી દેવામાં આવશે, ને તેમનાં મુડદાંઓ દુર્ગંધ મારશે, ને પર્વતો તેમના લોહીથી ઓગળી જશે.
4 આકાશોનાં સર્વ સૈન્યો પીગળી જશે, ને આકાશો ઓળિયાની જેમ લપેટાશે; અને દ્રાક્ષાવેલા પરથી પાંદડું સુકાઈને ખરી પડે છે ને અંજીરી પરથી પાંદડાં સુકાઈને લોપ થાય છે, તે પ્રમાણે તેમનાં સર્વ સૈન્યો નાશ પામશે.
5 કેમ કે મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે; જુઓ, તે અદોમને, ને મારાથી શાપિત થયેલા લોકોને શાસન કરવા માટે ઊતરશે.
6 યહોવાની તરવાર લોહીથી ભરપૂર છે, તે મેદથી, હલવાન તથા બકરાંના લોહીથી, બકરાના ગુરદાના મેદથી તરબત્તર થયેલી છે; કેમ કે બોસ્રામાં યહોવાનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ છે.
7 જંગલી ગોધાઓ, બળદો તથા આખલાઓ એ બધા સાથે નીચે આવશે; અને તેમની ભૂમિ લોહીથી તરબોળ થશે, ને તેમની ધૂળ મેદથી મિશ્રિત થશે.
8 કેમ કે તે યહોવાનો વેર વાળવાનો દિવસ છે, સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.
9 તેનાં નાળાં ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થશે, ને તેની ભૂમિ બળતો ડામર થશે.
10 રાત ને દિવસ તે કદી હોલવાશે નહિ. તેનો ધુમાડો પેઢી દરપેઢી ઊંચે ચઢશે; તે સર્વકાળ ઉજજડ રહેશે; તેમાં થઈને કોઈ જશે નહિ.
11 તે બગલા તથા શાહુડીનું વતન થશે; ઘુવડ તથા કાગડા તેમાં વસશે; અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે.
12 વળી રાજ્ય પ્રગટ કરવાને માટે તેનો કોઈ અમીર ત્યાં હશે નહિ; અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે.
13 તેના રાજમહેલોમાં કાંટા, ને તેના કિલ્લાઓમાં કૌવચ તથા ઝાંખરાં ઊગશે; તે શિયાળોનું રહેઠાણ, ને શાહમૃગનો વાડો થશે.
14 જંગલી જનાવરો વરુઓને મળશે, ને રાની બકરો પોતાના સાથીને પોકારશે; નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે, ને પોતાને માટે વિશ્રામસ્થાન પ્રાપ્ત કરશે.
15 ઊડણ સાપ ત્યાં દર કરશે, ઈંડાં મૂકશે, ને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે; ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે.
16 યહોવાના પુસ્તકમાં શોધ કરો ને વાંચો; તેઓમાંથી એક પણ ખૂટશે નહિ, તેઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલૂમ પડશે નહિ; કેમ કે યહોવાના મુખે તો આજ્ઞા આપી છે, ને તેમના આત્માએ તો તેમને એકઠાં કર્યાં છે.
17 યહોવાએ તેમને માટે ચિઠ્ઠી નાખી છે, ને યહોવાના હાથે દોરીથી માપીને તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે, પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.