1 અને મંદિરમાંથી તે નીકળતા હતા ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે. “ઉપદેશક, જુઓ, કેવા પથ્થર તથા કેવાં બાંધકામો!”
2 અને ઈસુએ તેને કહ્યું “શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”
3 અને જૈતુનના પહાડ પર મંદિરની સામે તે બેઠા હતા, ત્યારે પિતરે તથા યાકૂબે તથા યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું,
4 “અમને કહો, એ ક્યારે થશે? અને જ્યારે એ બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે શું ચિહ્ન થશે?”
5 અને ઈસુ તેઓને કહેવા લાગ્યા, “કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.
6 ઘણા મારે નામે આવીને કહેશે, ‘તે હું છું;’ અને ઘણાઓને ભુલાવામાં નાખશે.
7 પણ જ્યારે તમે લડાઈઓ વિષે તથા લડાઈની અફવા વિષે સાંભળશો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.
8 કેમ કે પ્રજા પ્રજાની વિરદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; ઠેર ઠેર ધરતીકંપ થશે, ને દુકાળો પડશે:મહાદુ:ખનો આ તો આરંભ છે.
9 પણ પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો.
10 અને પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.
11 અને જ્યારે તેઓ તમને લઈ જઈને પરસ્વાધીન કરશે, ત્યારે શું બોલીએ તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે સમયે તમને જે આપવામાં આવશે તે બોલો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા છે.
12 અને ભાઈ ભાઈને તથા પિતા છોકરાને મરણદંડને માટે પરસ્વાધીન કરશે, અને છોકરાં પોતાના માતાપિતાની સામે ઊઠશે, ને તેઓને મારી નંખાવશે.
13 અને મારા નામને લીધે સહુ તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે.
14 પણ જ્યારે તમે ઉજ્જડના અમંગળપણા ની નિશાની જ્યાં ઘટારત નથી ત્યાં ઊભી રહેલી જોશો (જે વાંચે છે તેણે સમજવું), ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.
15 અને ધાબા પર જે હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા માટે અંદર ન પેસે.
16 અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન ફરે.
17 અને તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ ઘવડાવતી હશે તેઓને અફસોસ છે!
18 અને તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો;
19 કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે હજી સુધી થઈ નથી ને થશે પણ નહિ.
20 અને જો પ્રભુએ એ દિવસોને ઓછા કર્યા ન હોત તો કોઈ માણસ બચત નહિ; પણ જે પસંદ કરેલાઓને તેમણે પસંદ કર્યા તેઓને લીધે તેમણે એ દિવસોને ઓછા કર્યા છે.
21 અને તે સમયે જો કોઈ તમને કહે, “જુઓ, અહીં ખ્રિસ્ત છે’:કે ‘જુઓ તે ત્યાં છે’; તો માનતા નહિ.
22 કેમ કે જૂઠા ખ્રિસ્તો તથા જૂઠા પ્રબોધકો ઊઠશે; અને ચમત્કારો તથા અદભૂત કામો કરી બતાવશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ ભુલાવામાં નાખે.
23 પણ તમે સાવધાન રહો; જુઓ, મેં તમને બધું અગાઉથી કહ્યું છે.
24 પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી સૂર્ય અંધકારૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે,
25 ને આકાશના તારાઓ ખરવા લાગશે, ને આકાશમાંનાં પરાક્રમો હલાવાશે.
26 ત્યારે તેઓ માણસના દીકરાને બહુ પરાક્રમ તથા મહિમાસહિત વાદળાંમાં આવતા જોશે.
27 અને ત્યારે તે પોતાના દૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
28 હવે અંજીરી પરથી તેનું દ્દષ્ટાંત શીખો:જ્યારે તેની ડાળી કુમળી જ હોય છે, ને પાંદડાં ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે.
29 એમ જ તમે પણ જ્યારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે, એટલે બારણા આગળ જ છે.
30 હું તમને ખચીત કહું છું કે, આ બધાં પૂરાં નહિ થાય ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે.
31 આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.
32 પણ તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતો નથી, આકાશમાંના દૂતો નહિ ને દીકરો પણ નહિ.
33 સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.
34 તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં પ્રવાસ કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી હોય.
35 માટે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો ઘણી ક્યારે આવશે, સાંજે કે, મધરાતે કે, મરઘો બોલતી વખતે કે, સવારે!
36 રખેને તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.
37 અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, જાગતા રહો.”