1 વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ શંકા પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.
2 કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધુંયે ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી શાકભાજી જ ખાય છે.
3 જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો. અને જે ખાતો નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો અંગીકાર કર્યો છે.
4 તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.
5 કોઈએક તો અમુક દિવસને બીજા કરતાં વધારે પવિત્ર ગણે છે, અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.
6 અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુની ખાતર તેને પવિત્ર ગણે છે. જે ખાય છે તે પ્રભુની ખાતર ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે. જે નથી ખાતો તે પ્રભુની ખાતર નથી ખાતો, અને ઈશ્વરનો આભાર માને છે.
7 કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી, અને કોઈ પોતાને અર્થે મરતો નથી.
8 કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભની ખાતર મરીએ છીએ. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.
9 કેમ કે મૂએલાં તથા જીવતાં બન્નેનો તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા, અને પાછા સજીવન થયા.
10 પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે? અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણને સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.
11 લખેલું છે, “પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે, અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.”
12 એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.
13 તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.
14 હું જાણું છું, અને પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને તે અશુદ્ધ છે.
15 પણ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેનો નાશ તું તારા ભોજનથી ન કર.
16 તેથી તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું થવા ન દો.
17 કેમ કે ઈશ્વરનું રાજય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ, તેઓમાં છે.
18 કેમ કે એ બાબત માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
19 તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું.
20 ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી પાડો નહિ, બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને તે ભૂંડું છે.
21 માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, અથવા ઠોકરાય છે, અથવા નિર્બળ થાય છે તે ન કરવું એ તારે માટે ઘટિત છે.
22 જે વિશ્વાસ તને છે તે તારા પોતાનામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે.
23 પણ જેને જે વિષે સંદેહ છે તે જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી. અને જે બધું વિશ્વાસથી નથી તે તો પાપ છે.