Bible Versions
Bible Books

2 Chronicles 36 (GUV) Gujarati Old BSI Version

1 પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગાએ યરુશાલેમમાં રાજા ઠરાવ્યો.
2 યહોઆહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં ત્રણ માસ રાજ કર્યું.
3 મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કરીને દેશ ઉપર સો તાલંત રૂપાનો તથા એક તાલંત સોનાનો કર નાખ્યો.
4 મિસરના રાજાએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયા તથા યરુશાલેમ ઉપર રાજા નિમ્યો, ત્યારે તેનું નામ યહોયાકીમ પાડ્યું. નખો તેના ભાઈ યહોઆહાઝને પકડીને મિસર લઈ ગયો.
5 યહોયાકીમ રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે અગિયાર વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું. તેણે પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.
6 તેની સામે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ચઢી આવ્યો, ને તેને બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયો.
7 વળી નબૂખાદનેસ્સારે યહોવાના મંદિરનાં કેટલાંક પાત્રો બાબિલ લઈ જઈને પોતાના દેવના મંદિરમાં મૂક્યાં.
8 યહોયાકીમના બાકીના કૃત્યો તથા તેણે કરેલાં ધિક્કારપાત્ર કર્મો, તથા તેનામાં જે લક્ષણો માલૂમ પડ્યાં તે, ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. તેની જગાએ તેનો પુત્ર યહોયાખીન રાજા થયો.
9 યહોયાખીન રાજ કરવા લાગ્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે ત્રણ માસ તથા દશ દિવસ સુધી યરુશાલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.
10 નવું વર્ષ બેસતાં નબૂખાદનેસ્સાર રાજાએ પોતાના માણસો મારફતે તેને યહોવાના મંદિરનાં સુશોભિત પાત્રો સહિત બાબિલમાં પકડી મંગાવ્યો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયાના તથા યરુશાલેમ ઉપર રાજા ઠરાવ્યો.
11 સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો. તેણે અગિયાર વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું;
12 તેણે પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, યહોવાનાં વચન બોલનાર પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.
13 નબૂખાદનેસ્સાર રાજાએ તેને ઈશ્વરના સોગન ખવડાવ્યા હતા, તોપણ તેની સામે તેણે બળવો કર્યો; તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના નહિ કરવાને પોતાનું અંત:કરણ કઠણ કર્યું.
14 વળી યાજકોના સર્વ મુખીઓએ તથા લોકોએ પણ વિદેશીઓનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને અનુસરીને મહાપાપ કર્યુ. યરુશાલેમમાં યહોવાએ પોતાનું જે મંદિર પવિત્ર કર્યું હતું તેને તેઓએ ભ્રષ્ટ કર્યું.
15 તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાએ પોતાના સંદેશિયાની મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી; કેમ કે તેમને પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ ઉપર દયા આવી.
16 પણ તેઓએ ઈશ્વરના સંદેશિયાઓને મશ્કરીમાં ઉડાવ્યાં. તેમનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાએ પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો કે, કંઈ ઉપાય રહ્યો નહિ.
17 માટે પ્રભુએ કાસ્દીઓના રાજાની પાસે તેઓ પર ચઢાઈ કરવી. એણે તેઓના પવિત્રસ્થાનમાં તેઓના જુવાનોને તરવારથી મારી નાખ્યા. યુવાન, યુવતી, પ્રૌઢ કે, વૃદ્ધ પર તેણે દયા રાખી નહિ. યહોવાએ તે બધાંને તેના હાથમાં સોંપ્યાં.
18 ઈશ્વરના મંદિરનાં નાનાંમોટાં પાત્રો તથા ખજાના, તેમ રાજાના તથા તેના સરદારોના ખજાના, સર્વ તે બાબિલ લઈ ગયો.
19 તેઓએ ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું તથા યરુશાલેમનો કોટ તોડી પાડ્યો, ને તેમાંના સર્વ મહેલોને બાળીને ભસ્મ કર્યા, તથા તેઓમાંનાં સર્વ મૂલ્યવાન પાત્રોનો નાશ કર્યો.
20 તરવારથી બચેલાંઓને તે બાબિલ લઈ ગયો; તેઓ ઇરાનના રાજ્યના અમલ સુધી નબૂખાદનેસ્સારના તથા તેના વંશજોનાં ગુલામ થયા.
21 એટલે યર્મિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી; કારણ કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો તેટલો વિશ્રામ દેશે પાળ્યો.
22 હવે ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે, યર્મિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા માટે તેના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા પ્રમાણે તેણે પોતાના આંખા રાજ્યમાં એક એવો લિખિત ઢંઢેરો પિટાવ્યો,
23 “ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે. અને યહૂદિયામાંના યરુશાલેમમાં યહોવાને માટે એક મંદિર બાંધવાની યહોવાએ મને આજ્ઞા આપી છે. તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે હોજો.”.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×