1 અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનની હજૂરમાં જઈને તેને કહે, ‘હિબ્રૂઓનો ઈશ્વર યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવઅ કરવા માટે જવા દે.
2 કેમ કે જો તું તેમને જવા દેવાનો ઈનકાર કરશે, ને હજી પણ તેમને રોકી રાખશે,
3 તો જો, ખેતરમાંનાં તારાં પશુઓ ઉપર, એટલે ઘોડાં ઉપર તથા ગધેડાં ઉપર તથા ઊંટો ઉપર તથા ઢોરઢાંક ઉપર તથા ઘેટાંબકરં ઉપર યહોવાનો હાથ આવ્યો જાણજે; બહુ ભારે મરકી આવશે.
4 અન યહોવ ઇઝરાયલનાં ઢોરને મિસરીઓનાં ઢોરથી અલાહિદા રાખશે. અને ઇઝરાયલીઓના સર્વસ્વમાંથી કોઈ મરશે નહિ.’”
5 અને યહોવાએ અમુક મુદત ઠરાવીને કહ્યું, “યહોવા આ દેશમાં એ કાર્ય કાલે કરશે.”
6 અને તેને બીજે દિવસે યહોવાએ તે પ્રમાણે કર્યું, અને મિસરનાં સર્વ ઢોર મરી ગયાં; પણ ઇઝરાયલી લોકોનાં ઢોરમાંથી એક પણ મર્યું નહિ.
7 અને ફારુને માણસ મોકલીને તપાસ કરાવી તો જુઓ, ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એક પણ મર્યું નહોતું. પણ ફારુનનું હ્રદય હઠીલું હતું, માટે તેણે લોકોને જવા દીધા નહિ.
8 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “તમે મુઠ્ઠીની રાખ લો, અને તે મૂસા ફારુનના જોતાં આકાશ તરફ ઉડાડે.
9 અને તે બારીક ભૂકારૂપે આખા મિસર દેશમાં પ્રસરી જશે, અને તેથી આખા મિસર દેશના માણસોને તથા ઢોરઢાંકને ગૂમડાં થશે.”
10 અને તેઓ ભઠ્ઠીની રાખ લઈને ફારુનની આગળ ઊભા રહ્યા. અને મૂસાએ તે આકાશ તરફ ઉડાડી; અને માણસોને તથા પશુઓને ગૂમડાંરૂપે તે ફૂટી નીકળી.
11 અને જાદુગરો ગૂમડાંના કારણથી મૂસાની આગળ ઊભા રહી શક્યા નહિ. કેમ કે જાદુગરોને તેમ જ સર્વ મિસરીઓને ગૂમડાં થયાં હતાં.
12 અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, અને યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ તેણે તેઓનું માન્યું નહિ.
13 અને યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુનની આગળ ઊભો રહે; અને તેને કહે, ‘હિબ્રૂઓનો ઈશ્વર યહોવા એમ કહે છે કે, મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે.
14 કેમ કે આ વખતે મારા બધા અનર્થો હું તારા હ્રદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ; એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી.
15 કેમ કે અત્યાર સુધીમાં મેં મારા હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મરકીનો માર આણ્યો હોત, તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ જાત.
16 પણ નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય.
17 શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી.?
18 જો, કાલે આસરે આ સમયે હું એવા ભારે કરા વરસાવીશ, કે જેવા કરા મિસરનું રાજ્ય સ્થપાયું તે દિવસથી તે આજ સુધીમાં પડયા નથી.
19 એ માટે માણસ મોકલીને તારાં ઢોર તથા ખેતરમાં તારું જે કોઈ હોય, તે સર્વને તાકીદે ઘેર બોલાવી મંગાવ; કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં મંગાવ; કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં હશે, ને ઘેર લાવવામાં આવ્યું નહિ હોય, તે પ્રત્યેક ઉપર કરા પડશે ને તેઓ મરી જશે.’”
20 પછી ફારુનના સેવકોમાંના જે જે યહોવાની વાણી ગણકારી નહિ તે બધાઅએ પોતાના સેવજોને તથા ઢોરને ઘેર હાંકી લાવ્યા.
21 અને જે કોઈએ યહોવાની વાણી ગણકારી નહિ તે બધાએ પોતાના સેવકોને તથા ઢોરને ખેતરમાં રહેવા દીધાં.
22 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારો હાથ આકાશ તરફ લાંબો કર કે, આખા મિસર દેશમાં માણસો ઉપર તથા ઢોર ઉપર તથા ખેતરની પ્રત્યેક વનસ્પતિ ઉપર કરા પડે.”
23 અને મૂસાએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી. અને યહોવાએ ગર્જના તથા કરા મોકલ્યાં, અને પૃથ્વી ઉપર અગ્નિ ધસી આવ્યો; અને યહોવાએ મિસર દેશ ઉપર કરા વરસાવ્યા.
24 તેથી કરા પડયા, તથા કરાની સાથે અગ્નિ ભેળસેળ હતો, તે કરા એવા ભારે હતા કે તે પ્રજા સ્થપાઈ ત્યારથી આખા મિસર દેશમાં એવા પડયા નહોતા.
25 અને આખા મિસર દેશમાં જે સર્વ માણસો તથા પશુઓ ખેતરોમાં હતાં તેઓ કરાથી માર્યા ગયાં. અને કરાએ ખેતરોમાંની સર્વ વનસ્પતિનો નાશ કર્યો, તથા ખેતરોમાંનાં સર્વ ઝાડ ભાંગી નાખ્યાં.
26 માત્ર ગોશેન દેશ જ્યાં ઇઝરાયલી લોકો રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.
27 અને ફારુને માણસ મોકલીને મૂસા તથા હારુનને બોલાવ્યા, ને તેઓને કહ્યું, “મેં આ વખત પાપ કર્યું છે. યહોવા ન્યાયી છે, ને હું તથા મારા લોક દુષ્ટ છીએ.
28 યહોવાની વિનંતી કરો; કેમ કે આ ભયંકર ગર્જના તથા કરાથી તો હવે હદ વળી ગઈ! અને હું તમને જવા દઈશ, ને હવે પછી તમારે અહીં રહેવું નહિ પડે.”
29 અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે.
30 પણ તમારા વિષે તથા તમારા સેવકો વિષે હું જાણું છું કે તમે યહોવા ઈશ્વરથી હજી પણ ડરવાના નથી.”
31 અને શણ તથા જવ ખૂંદાઈ ગયાં; કેમ કે જવ નીંઘલાવા આવ્યા હતા, ને શણને ફૂલ આવ્યાં હતાં.
32 પણ ઘઉં તથા કઠોળ ખૂંદાઈ ગયાં નહિ; કેમ કે તેઓ મોટાં થયાં નહોતાં.
33 અને મૂસાએ ફારુનની પાસેથી નગર બહાર જઈને યહોવાની તરફ પોતાના હાથ પસાર્ય; તેથી ગર્જના તથા કરા બંધ પડયાં, ને મૂશળધાર વરસાદ બંધ થયો.
34 અને ફારુને જોયું કે વરસાદ તથા કરા તથા ગર્જના બંધ પડયાં છે, ત્યારે તેણે તથા તેના સેવકોએ અધિક પાપ કરીને પોતાનાં હ્રદય હઠીલાં કર્યાં.
35 અને ફારુનનું હ્રદય હઠીલું થયું, અને જેમ યહોવાએ મૂસાની મારફતે કહ્યું હતું, તેમ ફારુને ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.