1 ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
2 “તમે શા કારણથી ઇઝરાયલ દેશ વિષે આ કહેવત વાપરો છો કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષો ખાધી છે ને પુત્રોના દાંત ખટાઈ ગયા છે?’
3 પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હવે પછી ઇઝરાયલમાં તમને આ કહેવતનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવશે નહિ.
4 જુઓ, સર્વ જીવો મારા છે; જેમ પિતાનો જીવ તેમ જ પુત્રનો જીવ પણ મારો છે. જે જીવ પાપ કરશે તે માર્યો જશે.
5 પણ જો કોઈ માણસ નેક હશે, ને નીતિથી તથા પ્રામાણિકપણે ચાલશે,
6 જેણે પર્વતો પર ભોજન કર્યું નહિ હોય, તેમ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ નજર કરી નહિ હોય, તેમ પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી નહિ હોય, ને રજસ્વલા સ્ત્રીની અડાસે ગયો નહિ હોય;
7 અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો મૂકેલી વસ્તુ તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;
8 જેણે વ્યાજે નાણાં આપ્યાં નહિ હોય, તેમ કંઈ વટાવ લીધો નહિ હોય, જેણે પોતાનો હાથ દુષ્કર્મોથી પાછો ખેંચી લીધો હશે, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવ્યો હશે.
9 મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હશે, મારી આજ્ઞાઓ પાળીને પ્રામાણિકપણે વર્ત્યો હશે; તો તે નેક છે, તે નિશ્ચે જીવશે, એમ પ્રભુ યહોવા કહે છે.
10 જો તેને એક એવો દીકરો થાય કે, જે લૂટારો, ખૂની તથા આ કામોમાંનું કોઈ પણ કામ કરનારો હોય,
11 ને ઉપર કહેલી ફરજો માંથી કોઈ પણ ફરજ અદા કરનારો ન હોય, પણ તેણે પર્વતો પર ભોજન કર્યુ હોય તથા પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી હોય,
12 દીન અને લાચારને નાહક રંજાડ્યા હોય, જોરજુલમ કરીને લૂંટ કરી હોય, ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી નહિ હોય, ને મૂર્તિઓ તરફ નજર કરી હોય, ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,
13 વ્યાજે નાણાં આપ્યાં હોય, ને વટાવ લીધો હોય; તો શું તે જીવશે? તે જીવવા પામશે જ નહિ. તેણે આ સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે; તે નક્કી માર્યો જશે; તેનું રક્ત તેને માથે.
14 હવે જુઓ, તેને એક એવો દીકરો થાય કે જે પોતાના પિતાનાં કરેલાં સર્વ પાપો જોઈને બીક રાખતો હોય, ને એવાં પાપ કરતો ન હોય,
15 જેણે પર્વતો પર ભોજન કર્યુ ન હોય, તેમ જ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ પોતાની નજર કરી ન હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી ન હોય,
16 તેમ કોઈને નાહક રંજાડ્યું ન હોય, કંઈ ચીજ ગીરો લીધી ન હોય, તેમ જુલમ કરીને લૂંટફાટ કરી ન હોય પણ ભૂખ્યાને અન્ન આપ્યું ન હોય, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હોય,
17 જેણે ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય, ને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હોય; તો તે પોતાના પિતાની પુષ્ટતાને લીધે માર્યો જશે નહિ, તે નક્કી જીવતો રહેશે.
18 તેના પિતાએ પોતે તો ક્રૂરતા વાપરીને જુલમ કર્યો, જબરદસ્તીથી પોતાના ભાઈને લૂંટ્યો, ને પોતાના લોકોમાં જે સારું નહિ ગણાય તે કર્યું, તેને લીધે, જો, તેની પોતાની જ દુષ્ટતાને લીધે તે માર્યો જશે.
19 તે છતાં તમે કહો છો કે, પિતાની દુષ્ટતા નું ફળ દીકરો કેમ ભોગવતો નથી? જો દીકરાએ નીતિથી તથા પ્રામાણિકપણે કામ કર્યુ હશે, ને મારા સર્વ વિધિઓ પાળીને તેમને અમલમાં લાવ્યો હશે, તો તે નક્કી જીવશે.
20 જે જીવ પાપ કરે તે માર્યો જશે. દીકરો પિતાની દુષ્ટતા નું ફળ ભોગવશે નહિ, તેમ જ પિતા દીકરાની દુષ્ટતા નું ફળ ભોગવશે નહિ. નેકીવાનની નેકી તેને શિર રહેશે, ને ભૂંડાની ભૂંડાઈ તેને શિર રહેશે.
21 પણ જો દુષ્ટ પોતે કરેલાં સર્વ પાપ કરવાનું છોડી દેશે, મારા સર્વ વિધિઓ પાળશે, ને નીતિથી તથા પ્રામાણિકપણે વર્તશે, તો તે નક્કી જીવશે, તે માર્યો જશે નહિ
22 તેણે કરેલા અપરાધોમાંનો કોઈ પણ તેની વિરુદ્ધ યાદ કરવામાં આવશે નહિ. પોતે કરેલી પોતાની નેકીને લીધે તે જીવશે.
23 પ્રભુ યહોવા કહે છે, શું દુષ્ટના મોતમાં મને કંઈ આનંદ છે? જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હુ વિશેષ રાજી ન થાઉં?
24 પણ જો નેક માણસ પોતાની નેકી છોડી દઈને દુષ્ટ કામ કરે, ને જે ધિક્કારપાત્ર કૃત્યો પુષ્ટ માણસ કરે છે તેઓનું અનુકરણ કરે, તો શું તે જીવવા પામશે? તેણે કરેલા નેક કામોમાંનું કોઇ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે જે જે અપરાધ તથા પાપ કર્યા, તે જ અપરાધ તથા પાપને લીધે તે માર્યો જશે.
25 તેમ છતાં તમે કહો છો કે, પ્રભુનો વ્યવહાર અદલ નથી. હે ઇઝરાયલ લોકો, હવે સાંભળો:શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો વિપરીત નથી શું?
26 જો નેક માણસ પોતાની નેકીમાંથી ખસી જાય ને પાપ કરે, ને તેને લીધે તે માર્યો જાય; તો તેણે પોતે કરેલા પાપને લીધે તે માર્યો જશે.
27 વળી જો દુષ્ટ માણસ પોતે કરેલી પુષ્ટતાથી પાછો ફરીને નીતિથી ને પ્રામાણિકપણે વર્તે, તો તે પોતાનો જીવ બચાવશે.
28 એ વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછો ફરે છે તેને લીધે તે નકકી જીવશે, તે માર્યો નહિ જ જશે.
29 તે છતાં ઇઝરાયલ લોકો કહે છે કે, પ્રભુનો વ્યવહાર અદલ નથી. હે ઇઝરાયલ લોકો, શું મારો વ્યવહાર અદલ નથી? શું તમારા માર્ગો વિપરીત નથી?
30 એ માટે, હે ઇઝરાયલ લોકો, પ્રભુ યહોવા કહે છે કે, હું તમારા દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ. તમે પાછા આવો, ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ; એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહિ.
31 જે અપરાધ તમે કર્યા છે, તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો; અને તમે નવું અંત:કરણ તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયલ લોકો, તમે શા માટે માર્યા જાઓ?
32 પ્રભુ યહોવા કહે છે કે, મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી; એ માટે ફરો, ને જીવતા રહો,