1 ફરોશીઓમાં નિકોદેમસ નામે એક જણ હતો. તે યહૂદીઓનો અધિકારી હતો.
2 તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”
3 ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’
4 નિકોદેમસ તેમને કહે છે, “માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજીવાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે?”
5 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી.
6 જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે.
7 મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના.
8 વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો. દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.”
9 નિકોદેમસે તેમને કહ્યું, “એ વાતો કેમ બની શકે?”
10 ઈસુએ તેને કહ્યું, “તું ઇઝરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો?
11 હું તને ખચીત ખચીત કહું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ. પણ તમે અમારી સાક્ષી માનતા નથી.
12 જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો?
13 આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢયું.
14 જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે.
15 એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંતજીવન પામે.
16 કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.
17 કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.
18 તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ઠરી ચૂકયો છે, કેમ કે ઈશ્વરના એકના એક દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.
19 અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં.
20 કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી.
21 પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાયાં છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે”
22 એ પછી ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા દેશમાં આવ્યા; ત્યાં તેઓની સાથે રહીને તે લોકોને બાપ્તિસ્મા આપતા હતા.
23 યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; અને લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.
24 કેમ કે હજી સુધી યોહાન કેદખાનામાં નંખાયો ન હતો.
25 તે પ્રસંગે યોહાનના શિષ્યોને કોઈએક યહૂદી સાથે શુદ્ધીકરણ વિષે વાદવિવાદ થયો.
26 તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું, “રાબ્બી, જે તમારી સાથે યર્દનને પેલે પાર હતા. જેને વિષે તમે સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા કરે છે અને બધાં તેમની પાસે આવે છે.”
27 યોહાને કહ્યું, “જો કોઈ માણસને આકાશથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી.
28 તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું કે, હું તે ખ્રિસ્ત નથી, પણ તેમની આગળ મોકલાયેલો છું.
29 જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.
30 તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ અવશ્યનું છે.
31 જે ઉપરથી આવે છે તે સર્વની ઉપર છે. જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે, અને પૃથ્વીનું બોલે છે. જે આકાશથી આવે છે તે સર્વની ઉપર છે.
32 તેણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેની સાક્ષી કોઈ માનતું નથી.
33 જેણે તેની સાક્ષી માની છે, તેણે ઈશ્વર ખરો છે, એ વાત પર મહોર મારી છે.
34 કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે ઈશ્વર માપથી આત્મા નથી આપતા.
35 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે બધું તેમના હાથમાં સોપ્યું છે.
36 દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે માનતો નથી, તે જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.”