1 તમે પોતાને માટે કોઈ મૂર્તિઓ ન કરો, ને પોતાને માટે કોઈ કોતરેલું પૂતળું કે સ્તંભ ઊભો ન કરો, ને પોતાને માટે તમારા દેશમાં આકૃતિઓ કોતરી કાઢેલો કોઈ પથ્થર તેની આગળ નમવા માટે તમે ઊભો કરશો નહિ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.
2 તમે મારા સાબ્બાથો પાળો, ને મારા પવિત્રસ્થાનની મર્યાદા રાખો, હું યહોવા છું.
3 જો તમે મારા વિધિઓમાં ચાલશો, ને મારી આજ્ઞાઓ પાળીને તે પ્રમાણે વર્તશો;
4 તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે. તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે.
5 અને તમારી કાપણી દ્રાક્ષોની તોડણી વાવવાના વખત સુધી પહોંચશે, અને ધરાતાં સુધી તમે તમારી રોટલી ખાશો, ને તમારા દેશમાં સહીસલામત વસશો.
6 અને હું દેશમાં શાંતિ સ્થાપીશ, ને તમે સૂઈ જશો, ને કોઈ તમને બિવડાવશે નહિ, અને હું દેશમાંથી હિંસક પશુઓને નષ્ટ કરીશ, ને તરવાર તમારા દેશમાં ચાલશે નહિ.
7 અને તમે તમારા શત્રુઓને નસાડશો, ને તેઓ તમારી આગળ તરવારથી પડશે.
8 અને તમારામાંના પાંચ તે સોને નસાડશે, ને તમારામાંનઅ સો તે દસ હજારને નસાડશે. અને તમારા શત્રુઓ તમારી આગળ તરવારથી પડશે.
9 અને હું તમારા પર કૃપાદષ્ટિ રાખીશ, ને તમને સફળ કરીશ, ને તમને વધારીશ, અને તમારી સાથે મારો કરાર સ્થાપિત કરીશ.
10 અને તમે જૂનું તથા ઘણા વખતથી સંગ્રહ કરી રાખેલું અન્ન ખાશો, ને નવું અન્ન પાકવાના કારણથી તમે જૂનું બહાર કાઢી નાખશો.
11 અને હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ; અને મારો જીવ તમારાથી કંટાળી જશે નહિ,
12 અને હું તમારી મધ્યે ચાલીશ, ને તમારો ઈશ્વર થઈશ, ને તમે મારા લોક થશો.
13 હું યહોવા તમારો ઈશ્વર છું કે, જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, એ માટે કે તમે તેઓના ગુલામ ન થાઓ; અને મેં તમારી ઝૂંસરીનાં બંધન તોડીને તમને ટટાર ચાલતા કર્યા છે.
14 પણ જો તમે મારું નહિ સાંભળો, ને આ સર્વ આજ્ઞાઓ નહિ પાળો;
15 અને જો તમે મારા વિધિઓને તુચ્છ કરો, ને જો તમારા જીવ મારાં ન્યાયકૃત્યોથી કંટાળી જાય, કે જેથી કરીને મારી સર્વ આજ્ઞાઓને નહિ પાળતાં તમે મારો કરાર તોડો;
16 તો હું પણ તમને આ પ્રમાણે કરીશ; હું તમારે માટે ભયજનક ઠરાવ કરીશ, એટલે ક્ષય તથા તવ કે જેથી તમારી આંખો ક્ષીણ થશે, ને તમારાં હ્રદય ઝૂર્યાં કરશે, અને તમે તમારાં બી વૃથા વાવશો, કેમ કે તમારા શત્રુઓ તે ની ઊપજ ખાઈ જશે.
17 અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.
18 અને એ બધું થયા છતાં જો તમે મારું નહિ સાંભળો, તો હું તમને તમારાં પાપને લીધે સાતગણી વધારે શિક્ષા કરીશ.
19 અને હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ, ને હું તમારા આકાશને લોઢાના જેવું, ને તમારી જમીનને પિત્તળના જેવી કરીશ.
20 અને તમારી શક્તિ વ્યર્થ વપરાશે; કેમ કે તમારી જમીન પોતાની ઊપજ આપશે નહિ, તેમ જ દેશનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.
21 અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો, ને મારું સાંભળવાને નહિ ચાહો, તો હું તમારા પાપ પ્રમાણે સાતગણા પીડાપાત તમારાં પર લાવીશ.
22 અને હું તમારી મધ્યે જંગલી પશુઓને મોકલીશ કે, જે તમારી પાસેથી તમારાં છોકરાંને છીનવી લેશે, ને તમારાં ઢોરઢાંકને મારી નાખશે, અને તમારા રાજમાર્ગો ઉજ્જડ થશે.
23 અને જો એવી શિક્ષાથી તમે સુધરીને મારી તરફ નહિ વળો, પણ મારી વિરુદ્ધ ચાલશો,
24 તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું, હા, હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.
25 હું તમારા ઉપર તરવાર લાવીશ, કે જે તોડેલા કરારનો બદલો લેશે. અને તમે પોતાનાં નગરોમાં એકઠાં થશો, ત્યારે હું તમારામાં મરકી મોકલીશ, અને તમે શત્રુનાં હાથમાં સોંપાશો.
26 જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દશ સ્ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોળીને તમને પાછી આપશે; અને તમે ખાશો પણ ધરાશો નહિ.
27 અને જો આટલું બધું થયા છતાં તમે મારું નહિ સાંભળો, પણ મારી વિરુદ્ધ ચાલશો,
28 તો હું કોપાયમાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.
29 અને તમે તમારા દીકરાઓનું માંસ ખાશો, ને તમારી દીકરીઓનું માંસ ખાશો.
30 અને હું તમારાં પર્વત પરનાં દેવસ્થાનો પાડી નાખીશ, ને તમારી સૂર્યમૂર્તિઓને કાપી નાખીશ, ને તમારી પૂતળીઓનાં મુડદાં પર તમારાં મુડદાં નાખીશ, અને મારો જીવ તમારાથી કંટાળી જશે.
31 અને હું તમારાં પવિત્રસ્થાનોને ઉજ્જડ કરીશ, ને તમારી સુંગધી વસ્તુઓની સુવાસ હું સૂંધીશ નહિ.
32 અને હું દેશને ઉજ્જડ કરીશ, અને તમારા જે શત્રુઓ તેમાં રહે છે તેઓ એ જોઈને વિસ્મિત થશે.
33 અને હું તમેન વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તમારી પાછળ તરવાર તાણીશ; અને તમારો દેશ ઉજ્જડ થઈ જશે, ને તમારાં નગરો વેરાન થશે.
34 અને જ્યાં સુધી તમારો દેશ ઉજ્જડ રહેશે, ને તમે પોતાના શત્રુઓના દેશમાં રહેશો ત્યાં સુધી તમારો દેશ તેના સાબ્બાથો ભોગવશે; હા, ત્યાં સુધી દેશ વિશ્રામ પામશે, ને તેના સાબ્બાથો ભોગવશે.
35 જ્યાં સુધી તે ઉજ્જડ રહેશે ત્યાં સુધી તે વિશ્રામ પામશે, એટલે તમે તેમાં રહેતા હતા, ત્યારે જે વિશ્રામ તે પામતો ન હતો તે વિશ્રામ તે પામશે.
36 અને તમારામાંના જે બાકી રહ્યા હશે તેઓનાં હ્રદયમાં હું તેઓના શત્રુઓના દેશો મધ્યે ભય ઘાલીશ. અને પાંદડું હાલવાના અવાજથી તેઓ નાસશે. અને જેમ તરવાર આગળથી કોઈ નાસે, તેમ તેઓ નાસશે.
37 અને કોઈ પાછળ લાગેલો ન હોવા છતાં જાણે તરવાર પાછળ આવતી હોય તેમ તેઓ એકબીજા પર પડાપડી કરશે; અને તમારા શત્રુઓની સામે તમારાથી ઊભા રહેવાશે નહિ.
38 અને વિદેશીઓ મધ્યે તમારો વિનાશ થશે, ને તમારા શત્રુઓનો દેશ તમને ખાઈ જશે.
39 અને તમારામાં જેટલા બાકી રહેશે તેટલા તમારા શત્રુઓના દેશ મધ્યે તેઓના અન્યાયમાં ઝૂરી ઝૂરીને મરશે.
40 અને મારી વિરુદ્ધ જે ઉલ્લંઘન તેઓએ કર્યું તેમાં તેમનો અન્યાય તેઓ કબૂલ કરશે, ને એ પણ કબૂલ કરશે કે તેઓ મારાથી ઊલટા ચાલ્યા.
41 તેથી હું પણ તેઓથી ઊલટો ચાલ્યો, ને તેમના શત્રુઓના દેશમાં તેઓને લાવ્યો. તે વખતે જો તેઓનું બેસુન્નત હ્રદય નમ્ર થયું હશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે,
42 તો હું યાકૂબની આગળ કરેલા મારા કરારનું સ્મરણ કરીશ. અને વળી ઇસહાકની આગળ કરેલા મારા કરારનું તથા ઇબ્રાહિમની આગળ કરેલા મારા કરારનું હું સ્મરણ કરીશ; અને હું દેશનું સ્મરણ કરીશ.
43 અને તેઓને દેશ છોડવો પડશે, ને જ્યાં સુધી તેઓ વિના દેશ ઉજ્જડ પડયો રહેશે ત્યાં સુધી તે પોતાના સાબ્બાથો ભોગવશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા ભોગવશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા માન્ય કરશે. તે આ કારણથી કે તેઓએ મારા હુકમો તુચ્છ કર્યા, ને તેઓના જીવ મારા વિધિઓથી કંટાળી ગયા.
44 અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓના દેશમાં હશે, ત્યારે હું તેઓને તજીશ નહિ, ને તેઓનો પૂરો નાશ કરવાને, ને તેઓની આગળ કરેલો મારો કરાર તોડવા માટે હું તેમનાથી કંટાળી જઈશ નહિ, કેમ કે હું યહોવા તેઓનો ઈશ્વર છું.
45 પણ તેઓના બાપદાદાઓ કે જેઓને વિદેશીઓની નજર આગળ મિસર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું તેઓનો ઈશ્વર થાઉં, તેઓની આગળ કરેલા મારા કરારનું સ્મરણ હું તેમની ખાતર કરીશ; હું યહોવા છું.”
46 જે વિધિઓ તથા હુકમો તથા નિયમો યહોવાએ પોતાની તથા ઇઝરાયલી લોકોની વચમાં, સિનાઇ પર્વત પર મૂસાની હસ્તક આપ્યાં તે એ છે.