1 મૂલ્યવાન અત્તર કરતાં આબરુદાર નામ સારું, અને જન્મના દિવસ કરતાં મરણનો દિવસ સારો.
2 ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું, કેમ કે સર્વ મનુષ્યો ની જિંદગી નું પરિણામ એ જ છે. અને જીવતો માણસ તે વાત પોતાના અંત:કરણમાં ઠસાવી રાખશે.
3 હાસ્ય કરતાં ખેદ સારો છે, કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે.,
4 જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખોનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે.
5 કોઈ માણસે મૂર્ખોનું ગીત સાંભળવું તે કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો છે.
6 કેમ કે જેવો હાંલ્લા નીચે કાંટાનો ભડભડાટ હોય છે, તેવું મૂર્ખનું હસવું છે! એ પણ વ્યર્થતા છે.
7 સાચે જ જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે, અને લાંચ સમજશક્તિનો નાશ કરે છે.
8 કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે; અને મનના મગરૂર માણસ કરતાં મનનો ધીરજવાન સારો છે.
9 ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.
10 આગલો સમય આ સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે, એવું તું ન પૂછ; કેમ કે આ વિષે પૂછવું ડહાપણ ભરેલું નથી.
11 બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે; સૂર્ય જોનારાઓને તે વધારે ઉત્તમ છે.
12 જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.
13 ઈશ્વરના કામનો વિચાર કરો; કેમ કે જે તેમણે વાંકું કર્યું છે, તેને સીધું કોણ કરી શકશે?
14 ઉન્નતિને સમયે મગ્ન થા, ને આપત્કાળે વિચાર કર. ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે, જેથી પોતાની પાછળ શું થશે તેમાંનું કશુંયે મનુષ્ય ખોળી કાઢી શકે નહિ.
15 આ બધું મારા વ્યર્થપણાના દિવસોમાં મેં જોયું છે: એટલે નેક માણસ પોતાની નેકીમાં માર્યો જાય છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે.
16 ઝાઝો નેક ન થા; અને દોઢડાહ્યો પણ ન થા; તેમ કરીને તું શા માટે પોતાનો નાશ કરે?
17 અતિશય દુષ્ટ ન થા, તેમ જ મૂર્ખ પણ ન થ; કેમ કે તેમ કરીને તું શા માટે અકાળ મૃત્યુ પામે?
18 સારું તો એ છે કે એકને વળગી રહેવું અને બીજાને છોડવું નહિ; કારણ, જે માણસ ઈશ્વરનો ડર રાખે છે તે એ સર્વમાંથી મુક્ત થશે.
19 દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે.
20 જે સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.
21 વળી જે જે શબ્દો બોલવામાં આવે છે તે સર્વને લક્ષમાં ન લે, રખેને તું તારા ચાકરને તને શાપ દેતા સાંભળે.
22 કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે કે તેં પણ વારંવાર બીજાઓને શાપ આપ્યા છે.
23 મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે: મેં કહ્યું કે, હું બુદ્ધિમાન થઈશ. પણ તે વાત મારાથી દૂર રહી.
24 જે ખરું છે તે ઘણું દૂર તથા અતિશય ઊંડું છે; તેને કોણ ખોળી કાઢી શકે?
25 હું ફર્યો, અને જ્ઞાન મેળવવાને, તેને ખોળી કાઢવાને તથા તેના મૂળ કારણની શોધ કરવાને અને દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે, તથા મૂર્ખાઈ તે જ ગાંડપણ છે, એ જાણવા માટે મેં મારું મન લગાડયું;
26 તો મને એવું માલૂમ પડયું કે મોતના કરતાં પણ એક ચીજ વધારે દુ:ખદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધનરૂપ છે તેવી સ્ત્રી! જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પણ પાપી તેનાથી પકડાઈ જશે.
27 સભાશિક્ષક કહે છે કે, સત્ય શોધી કાઢવા માટે વસ્તુઓને એકબીજાની સાથે સરખાવી જોતાં મને આ માલૂમ પડયું છે.
28 તેને મારું દિલ હજી શોધ્યા કરે છે પણ તે મને મળતું નથી; મને હજારમાં એક પુરુષ મળ્યો છે; પણ એટલા બધામાં મને એકે સ્ત્રી મળી નથી.
29 મને ફકત એટલી જ શોધ લાગી છે કે, ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.